Tuesday, November 17, 2020

તંદુરસ્તીની હિફાઝતના નુસ્ખા

*આઠમા ઇમામ અલી રઝા (અ.)એ બતાવેલા તંદુરસ્તીની  હિફાઝતના નુસ્ખા..*

*1.  જે માણસ ઇચ્છતો હોય કે તેને પથરીની તકલીફ ના થાય, તો જરૂરી છે કે તે પેશાબને કદી ના રોકે, ભલે સવારી ઉપર સવાર કેમ ના હોય.*

*2.  જે માણસ ઇચ્છે કે તેને કબજિયાત ના થાય, તો તે જમતી વખતે વચ્ચે પાણી ના પીએ, કેમકે જમતી વખતે પાણી પીવાથી ભીનાશ વધી જશે અને જઠર કમજોર થઈ જશે અને નસોમાં જમવાની પૂરેપૂરી તાકાત નથી પહોંચતી. એનું કારણ એ છે કે જમતી વખતે પાણી પીવાથી જઠરમાં પાણી અને ખોરાક લોહી જેવું થઈ જાય છે.*

*3. જે માણસ ઇચ્છે કે તેને પિત્ત ના વધે અને એ પણ ઇચ્છે કે તેના નખ ના ફાટે અને બદસૂરત ના થઈ જાય તો તે જુમેરાતના દિવસે નખ કાપે.*

*4. જે માણસ ઇચ્છતો હોય કે તેને કાનની કોઈ તકલીફ ના થાય, તો તે સૂતી વખતે કાનમાં રૂ મૂકીને સૂએ.*

*5. જે માણસ ઇચ્છતો હોય કે તેને ઠંડીના દિવસોમાં શરદી ના થાય, તો રાેજ તે ત્રણ ચમચી મધ પી લે.*

*6. જે માણસ ગરમીના દિવસોમાં શરદીથી બચવા ઇચ્છતો હોય તો તે તડકામાં બેસવાથી બચે.*

*7. જે માણસ ઇચ્છતો હોય કે તેનું શરીર હલ્કુ ફૂલ્કું રહે અને વધારે વજન ના વધે તો તે રાતના સમયે થોડું જમે.*

*8. જે માણસ ઇચ્છે કે તેને ડુંટીની તકલીફ ના થાય, તો તે જ્યારે માથામાં તેલ નાખે ત્યારે ડુંટીમાં પણ લગાવે.*

*9. જે માણસ ઇચ્છતો હોય કે તેના હોઠ ના ફાટે તો માથામાં તેલ નાખે ત્યારે (આંખનાં) ભવાં પર પણ લગાવે.*

*10. પેટ ભર્યું હોય ત્યારે નાહવાથી મોટા આંતરડાનું દર્દ પેદા થાય છે.*

*11. માછલી ખાધા પછી ઠંડા પાણીથી નાહવાથી ફાલિજ (લકવો) પેદા થાય છે.*

*12. ગરમ કે મીઠી વસ્તુ ખાધા પછી ઠંડું પાણી પીવાની આદતથી દાંત જલ્દી જતા રહે છે.*

*13.  બાળકો માટેમાના દૂધથી વધારે બહેતર કોઈ દૂધ નથી.*

*14. સરકો બેહતરીન શાક છે. જે ઘરમાં સરકો હશે તે મોહતાજ નહીં થાય.*

*15. દરેક દાડમમાં એક દાણો જન્નતનો હોય છે.*

*16. મુન્નકા (મોટી સૂકી દ્રાક્ષ) પિત્તને સારું કરે છે, કફને દૂર કરે છે, પીઠને મજબૂત કરે છે, નફ્સને પાકીઝા બનાવે છે અને ગમગીની દૂર કરે છે.*

*17. મધમાં શિફા છે, જો કોઈ મધ હદિયો કરે તો એને પાછું ના કરતા.*

*18. ગુલાબ જન્નતના ફૂલોનો સરદાર છે.*

*19.  બનફ્સાનું તેલ માથામાં લગાવાે. એની તાસીર એ છે કે તે ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઠંડું હોય છે.*

*20. જે ઝૈતુનનું તેલ માથામાં લગાવશે અથવા ખાશે એની પાસે શયતાન ચાલીસ દિવસ સુધી નહીં આવે.*

*21. સાતમા દિવસે પોતાના બાળકોના ખત્ના કરો. એનાથી તંદુરસ્તી વધે છે અને શરીર પર માંસ વધે છે.*

*22. કુરઆન પઢવાથી, મધ ખાવાથી અને દૂધ પીવાથી યાદશક્તિ વધે છે.*

*23. મસૂર સિત્તેર નબીઓની પસંદગીનાે ખોરાક છે. એનાથી દિલ નરમ થાય છે અને આંસુ બને છે.*

*24. મર્દ માટે જરૂરી છે કે ખુશ્બૂ લગાવાનું ના છોડે. બહેતર છે કે રોજ લગાવે અને જો એટલી શક્તિ ના હોય તો એક દિવસ છોડીને લગાવે અને એ પણ ના બની શકેતો દર જુમ્આના દિવસે લગાવે.*

*25. જે માણસ સૂતી વખતે આયતુલ કુરસી પઢે તે લકવાની બીમારીથી સલામત રહેશે.*

*26. જાજરૂ (સંડાસ)માં દાતણ કરવાથી મોઢામાં બદબૂ પેદા થાય છે.*

*27. જુમ્આના દિવસે નખ કાપવાથી ગરીબાઈ દૂર થાય છે.*

*28. માણસના શરીરમાં એક નસ ઇશા નામની છે. જે માણસ રાત્રે ખાવાનું નહીં ખાય અને પાણી નહીં પીએ તો એ નસ બદદુઆ કરે છે અને સવાર સુધી એવું કહે છે કે અલ્લાહ તને ભૂખ્યો અને પ્યાસો રાખે કે જેવી રીતે તેંમને ભૂખી રાખી.*

*29. જો આપણે ખોરાકમાં હંમેશાં મધનો ઉપયોગ કરીએ તો કલેજાની કોઈ તકલીફ નહીં થાય.*

*30. કુરઆને મજીદમાં દરેક બીમારીની દવા છે. જરૂરી છે કે તમે પોતાના બીમારોનો ઇલાજ સદકાથી કરો અને શિફા માટે કુરઆને મજીદ પઢો કેમકે જે માણસને કુરઆને મજીદથી શિફા નહીં થાય તેને બીજી કોઈ વસ્તુથી શિફા નહીં થાય.*  (‘તિબ્બે રિઝા’ કિતાબમાંથી)

📚  જાફરી આવાઝ, ફેબ્રુઆરી-૨૦૧૪, પેજ નંબર - ૨૫,૨૬

No comments:

Post a Comment

tell me your islamic-related information you want .I am try give you